1 અગ્રીપાએ પાઉલને કહ્યું કે, તને તારી હકીકત જણાવવાની રજા છે; ત્યારે પાઉલે હાથ લાંબો કરીને પ્રત્યુત્તર આપ્યો કે
2 ઓ અગ્રીપા રાજા, યહુદીઓ જે સબંધી મારા પર તહોમત મુકે છે, તે બધી વાતો વિષે મારે આજે તારી આગળ પ્રત્યુત્તર આપવાનો છે તેથી હું પોતાને ભાગ્યશાળી ગણું છું;
3 વિશેષે એ માટે કે જે રિવાજો તથા મતો યહુદીઓમાં ચાલે છે, તે સઘળામાં હું પ્રવીણ છે, માટે હું તને વિનંતી કરું છું કે, ધીરજથી મારું સાંભળ.
4 નાનપણથી માંડીને જે આચરણ શરૂઆતથી મારા પોતાના લોકમાં તથા યરૂશાલેમમાં હું ચલાવતો આવ્યો છું, તે સઘળા યહુદીઓ જાણે છે.
5 અને જો તેઓ શાહેદી આપવા ચાહે, તો તેઓ મારે વિષે પહેલાંથી જાણે છે કે અમારા ધર્મના સર્વથી ચુસ્ત પંથ પ્રમાણે મેં ફરોશીની રીતો પાળી છે.
6 અને હવે દેવે જે વચન અમારા પૂર્વજોને આપ્યું હતું તેની આશાને લીધે હું અહીં ન્યાય પામવાને ઉભો છું;
7 ને અમારાં બારે કુળો પણ [દેવની] સેવા આતુરતાથી રાત દિવસ કરતાં તે [વચન] પામવાની આશા રાખે છે; અને ઓ રાજા, એજ આશાને લીધે યહુદીઓ મારા પર તહોમત મુકે છે!
8 દેવ મુએલાંઓને પાછાં ઉઠાડે, એ તમને અસંભવિત કેમ લાગે છે?
9 હું તો પોતાના મનમાં એવો ધારતો હતો કે, ઇસુ નાઝારીના નામને ઉલટું મારે ઘણું કરવું જોઈએ.
10 અને મેં યરૂશાલેમમાં પણ તેમજ કીધું; ને મુખ્ય યાજકોથી અધિકાર પામીને સંતોમાંના ઘણાને બંદીખાનામાં નાખ્યા,ને તેઓને મારી નાખતા હતા ત્યારે મેં તેઓની વિરુદ્ધ મત આપ્યું.
11 અને સર્વ સભાસ્થાનોમાં મેં ઘણી વાર તેઓને શિક્ષા કરીને તેઓની પાસે દુર્ભાષણ કરાવવા પ્રયત્ન કર્યા; ને તેઓ પર અત્યંત ક્રોધાયમાન થઈને પરાયા શહેરો સુધી પણ તેઓને સતાવ્યા.
12 એ માટે મુખ્ય યાજકો પાસેથી અધિકાર તથા પરવાનો મેળવીને હું દમસ્ક જતો હતો.
13 તેવામાં, ઓ રાજા, મધ્યાન્હે માર્ગમાં સુરજના તેજ કરતા પ્રકાશિત એવું અજવાળું આકાશથી મારી તથા મારી સાથે ચાલનારાઓની આસપાસ ચમકતું મેં જોયું.
14 અને અમે બધા ભોંય પર પડી ગયા, પછી એક વાણી મેં સાંભળી, જેણે હેબ્રી ભાષામાં મને કહ્યું કે, શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે? આર પર લાત મારવી તને કઠણ છે.
15 ત્યારે મેં કહ્યું કે, પ્રભુ, તું કોણ છે? ને પ્રભુએ કહ્યું કે, હું ઇસુ છું, જેણે તું સતાવે છે.
16 પણ ઉઠ, ને ઉભો થા, કેમકે મેં એ હેતુથી તને દર્શન દીધું છે, કે હું તને સેવક ઠરાવું, તથા મારા વિષે જે જે તે જોયું છે તથા જે દર્શન હું હવે પછી તને દઈશ, તે વિષે તને સાક્ષી ઠરાવું.
17 અને હું તારું રક્ષણ આ લોક તથા વિદેશીઓ જેઓની પાસે હું તને મોકલું છું તેઓથી કરીશ,
18 કે તું તેઓની આંખો ઉઘાડે, ને તેઓને અંધારામાંથી અજવાળામાં, તથા શેતાનના અધિકાર તળેથી દેવની તરફ ફેરવે, એ સારું કે તેઓ પાપની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે, તેઓ મધ્યે વારસો પામે.
19 તે માટે, ઓ અગ્રીપા રાજા, આકાશી દર્શન માન્યા વિના હું રહ્યો નહિ.
20 પણ પહેલાં દમસ્કમાંનાઓને, તથા યરૂશાલેમમાંનાઓને, તથા યહુદાહના બધા પ્રન્તોમાંનાઓને, તથા વિદેશીઓને પણ બોધ કર્યો કે તમ્રે પસ્તાવો કરીને તથા દેવની ભણી ફરીને પસ્તાવો કરનારને છાજે એવાં કૃત્યો કરવાં.
21 એ કારણ માટે યહુદીઓએ મંદિરમાં મને પકડીને મારી નાખવાની કોશિષ કીધી.
22 પરંતુ દેવની પાસેથી સહાય પામીને હું આજ સુધી ટકી રહ્યો છું, ને નાના મોટાને શાહેદી આપું છું, ને ભવિષ્યવાદીઓ તથા મુસા જે જે બનવાની બીનાઓ વિષે બોલ્યા હતા તે શિવાય હું બીજું કંઈ કહેતો નથી;
23 એટલે કે ખ્રિસ્ત [મરણ] વેદના સહે, ને તે પહેલો મુએલાંઓમાંથી પાછા ઉઠ્યાથી લોકોને તથા વિદેશીઓને અજવાળું પ્રગટ કરે.
24 અને તે આ પ્રમાણે પ્રત્યુત્તર આપતો હતો, ત્યારે ફેસ્તસે મોટે ઘાટે કહ્યું કે, પાઉલ તું ઘેલો છે, ઘણી વિદ્યાએ તને ઘેલો કરી નાખ્યો છે.
25 પણ પાઉલે કહ્યું કે, ઓ નેકનામદાર ફેસ્તસ, હું ઘેલો નથી, પણ સત્યની તથા ડાહપણની વાતો બોલું છું.
26 કેમકે આ રાજા જે જેની આગળ પણ હું છુટથી બોલું છું તે એ વિષે જાણે છે, કેમકે મને ખાતરી છે કે એઓમાંથી કોઈ વાત તેનાથી ગુપ્ત નથી, કારણ કે એ તો ખુણામાં બન્યું નથી.
27 આગ્રીપા રજા, તું શું ભવિષ્યવાદીઓ [ની વાતો] પર વિશ્વાસ કરે છે? હા, હું જાણું છું કે તું વિશ્વાસ કરે છે.
28 ત્યારે આગ્રીપાએ પાઉલને કહ્યું કે, તું તો થોડીજ સમજુતી આપીને મને ખ્રીસ્તી કરવા માગે છે.
29 અને પાઉલે કહ્યું કે, ઈશ્વર કરે કે ગમે તો થોડી [સમજુતીથી] કે ઘણીથી, એકલો તુંજ નહિ પણ જેઓ આજ મારું સાંભળે છે તેઓ સઘળા પણ, આ બેડીઓ શિવાય, મારા જેવા થાય.
30 પછી રાજા તથા હાકેમ તથા બેરનીકે તથા તેઓની સાથે બેઠેલાંઓ ઉઠ્યાં;
31 ને તેઓએ એકાંતે જઈને માંહોમાંહે વાત કરી કે, એ માણસે દેહાંત શિક્ષા અથવા બેડીઓ યોગ્ય કંઈ કીધું નથી.
32 ત્યારે અગ્રીપાએ ફેસ્તસને કહ્યું કે, જો એ માણસે કાઈસરની પાસે દાદ માગી ન હોત તો એને છોડી દઈ શકાત.