1 ફેસ્તસ પોતાના પ્રાંતમાં આવીને ત્રણ દિવસ પછી કાઈસારીઆથી યારૂશાલેમ ગયો.
2 ત્યારે મુખ્ય યાજકોએ તથા યહુદીઓમાંના મુખ્ય માણસોએ પાઉલની વિરુદ્ધ ફરિયાદ કરી
3 અને તેઓએ તેને વિનંતી કરીને [પાઉલ]ની વિરૂદ્ધમાં એવી મહેરબાનીની માંગણી કીધી કે, તેને યરૂશાલેમ તેડાવી મંગાવ, [એવી હેતુથી] કે તેઓ માણસોને સંતાડી રાખી માર્ગમાં તેને મારી નખાવે.
4 પણ ફેસ્તસે ઉત્તર દીધો કે, પાઉલને કાઈસારીઆમાં પહેરામાં રાખ્યો છે, ને હું પોતે ત્યાં થોડા દહાડામાં જવાનો છું.
5 માટે તમારામાંના જે વજનદાર હોય તેઓ મારી સાથે આવીને એ માણસનો જો કંઈ ગુન્હો હોય તો તેના પર તહોમત મુકે એમ તેણે કહ્યું.
6 અને તેઓ મધ્યે આઠ દસ દિવસથી વધારે ન રહેતાં તે કાઈસારીએ ગયો, ને બીજે દિવસે ન્યાયાસન પર બેસીને તેણે પાઉલને લાવવાની આજ્ઞા કીધી.
7 અને તે હાજર થયો ત્યારે યરૂશાલેમથી આવેલા યહુદીઓ તેની આસપાસ ઉભા રહીને તેના પર સંખ્યાબંધ ભારે તહોમત મુકવા લાગ્યા, પણ તેઓ તે સાબિત કરી શક્યા નહિ.
8 ત્યારે પાઉલે પોતાના બચાવમાં કહ્યું કે, યહુદીઓના નિયમશાસ્ત્ર અથવા મંદિર અથવા કાઈસાર વિરુદ્ધ મેં કાંઈ ગુન્હો કીધો નથી.
9 પણ ફેસ્તસે યહુદીઓને ખુશ કરવા ચાહીને પાઉલને ઉત્તર આપ્યો કે, શું તું યરૂશાલેમમાં જઈને ત્યાં એ વાતો વિષે મારી આગળ પોતાનો ન્યાય કરાવવાને રાજી છે?
10 પણ પાઉલે કહ્યું કે, કાઈસારના ન્યાયાસન આગળ હું ઉભો છું, ત્યાં મારો ન્યાય થવો જોઈએ; મેં યહુદીઓનું કંઈ ભુંડું કીધું નથી, તે તું પણ સારી પેઠે જાણે છે.
11 જો હું ગુન્હેગાર હોઉં, અને દેહાંત શિક્ષાને યોગ્ય મેં કંઈ કર્યું હોય, તો હું મારવાને ના નથી પાડતો, પણ જે વિષે તેઓ મારા પર તહોમત મુકે છે તેમાંની જો એકે વાત ખરી ન હોય તો તેઓના હાથમાં કોઈ મને સોંપી શકતો નથી. હું કાઈસાર પાસે દાદ માંગુ છું.
12 ત્યારે ફેસ્તસે ન્યાયસભા સાથે મસલત કરીને ઉત્તર આપ્યે કે, તેં કાઈસાર પાસે દાદ માગી છે; તો કાઈસારની પાસે તારે જવું પડશે.
13 હવે કેટલાએક દિવસ વીત્યા પછી આગ્રીપા રાજા તથા બેરનીકે કાઈસારીઆમાં આવ્યા, ને ફેસ્તસની મુલાકાત લીધી.
14 અને તેઓ ઘણા દિવસ ત્યાં રહ્યા પછી ફેસ્તસે પાઉલ સબંધીની વાત રાજાને જાહેર કરતા કહ્યું કે, ફેલીકસ એક બંદીવાન માણસને મુકી ગયો છે;
15 જયારે હું યરૂશાલેમમાં હતો ત્યારે મુખ્ય યાજકોએ તથા યહુદીઓના વડીલોએ તેના પર ફરિયાદ કરીને તેની વિરુદ્ધ ફેસલો માગ્યો.
16 મેં તેઓને ઉત્તર દીધો કે, કોઈ પણ તહોમતદારને ફરિયાદીઓની રૂબરૂ તહોમત વિષે પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપવાની તક મળે ત્યાં સુધી તેને [મારી નાખવાને] સોંપી દેવો એ રૂમીઓનો રીવાજ નથી.
17 તે માટે તેઓ અહીં એકઠા થયા, ત્યારે વિલંબ કર્યા વિના બીજે દિવસે ન્યાયાસન પર બેસીને તે માણસને લાવવાનો મેં હુકમ આપ્યો.
18 ફરિયાદીઓએ ઉભા થઈને, હું ધારતો હતો તેવા કોઈ પણ કુકૃત્યો વિષે તેના પર તહોમત મુક્યું નહિ;
19 પણ તેઓના પોતાના ધર્મ વિષે, તથા ઇસુ કરીને કોઈક માણસ જે મરી ગયો છે પણ જેના વિષે પાઉલ કહે છે કે તે જીવતો છે, તે વિષે તેની વિરુદ્ધ તેઓએ કેટલાક વાંધા ઉઠાવ્યા.
20 અને એ બાબત વિષે કેવી રીતે તપાસ કરવી તેની સુઝ મને ન પડવાથી મેં પુછ્યું કે, શું તું યરૂશાલેમમાં જઈને ત્યાં આ વાતો સબંધી પોતાનો ન્યાય કરાવા ઈચ્છે છે?
21 પણ [મારા મુકરદમાનો] ફેંસલો પાદશાહથી થવો જોઈએ એવી માગણી પાઉલે કરી તેથી મેં હુકમ કીધો કે કાઈસારની પાસે હું તેને મોકલું ત્યાં સુધી તેને કેદ રાખવો.
22 ત્યારે આગ્રીપાએ ફેસ્તસને કહ્યું કે, એ માણસનું સાંભળવાની મારી પણ ઈચ્છા છે. ત્યારે તેણે કહ્યું કે, કાલે તું તેનું સાંભળશે.
23 માટે બીજે દિવસે આગ્રીપા તથા બેરનીકે મોટા દબદબામાં આવ્યાં, ને સરદારો તથા શહેરના મુખ્ય માણસો સુદ્ધાં દરબારમાં દાખલ થયાં, ત્યારે ફેસ્તસની આજ્ઞાથી તેઓએ પાઉલને રજુ કર્યો.
24 ત્યારે ફેસ્તસે કહ્યું કે, ઓ અગ્રીપા રાજા તથા હાજર થયલા સઘળા ગૃહસ્થો, જે માણસ વિષે યહુદીઓના આખા સમુદાયે યરૂશાલેમમાં તથા અહીં પણ મને વિનંતી કરી, ને બૂમ પાડી કે, તેને જીવતો રહેવા દેવો [યોગ્ય] નથી, તેને તમે જુઓ છો.
25 પણ મને એવું માલમ પડ્યું કે તેણે મરણ યોગ્ય કંઈ નથી કર્યું, ને તેને પોતે પાદશાહ પાસે દાદ માગી, તેથી મેં તેને મોકલી દેવાનો નિશ્ચય કીધો છે.
26 તેના વિષે એવી કંઈ ચોકસ વાત મારી પાસે નથી કે જે હું મારી ઘણી પર લખું, માટે મેં તમારી આગળ, ને, ઓ અગ્રીપા રાજા, વિશેષે કરીને તારી આગળ, તેને આણ્યો છે, એ માટે કે તજવીજ થયા પછી મને કંઈ લખવાનું મળી આવે.
27 કેમકે બંદીવાનને મોકલવો, ને તેના પરનાં તહોમત ન દર્શાવવાં એ મને અયોગ્ય લાગે છે.