1 અને અમારે જળમાર્ગે ઇતાલી ઉપડી જવું એવો ઠરાવ થયા પછી તેઓએ પાઉલને તથા બીજા કેટલાએક બંદીવાનોને પાદશાહી પલટણના જુલ્યસ નામના સુબેદારને સોંપ્યા.
2 અને આદ્રામીતિયમનું એક વહાણ જે આસિયાના કિનારા પરના બંદરોએ જવાનું હતું તેમાં બેસીને અમે સફરે નીકળ્યા; ને માકેદોનિયાના થેસ્સાલોનીકેનો આરીસ્તાર્ખસ અમારી સાથે હતો.
3 અને બીજે દિવસે અમે સીદોનમાં બંદર કીધું, ને જુલયસે પાઉલ પર મહેરબાની રાખીને તેને તેના મિત્રોની પાસે જઈને આરામ પામવાની રાજા દીધી.
4 અને ત્યાંથી નીકળ્યા પછી પવન સામે હોવાને લીધે અમે કુપરસની ઓથે રહીને હુંકારી ગયા.
5 અને કીલકી તથા પામ્ફૂલ્યાની પાસેનો સમુદ્ર ઓળંગીને અમે લુકીઆના મુરા [બંદર] પહોંચ્યા.
6 અને ત્યાં સુબેદારને ઇતાલી જનારૂં આલેક્સાંદ્રિયાનું એક વહાણ મળ્યું; તેમાં તેણે અમને બેસાડ્યા.
7 પણ અમે ઘણા દિવસ સુધી ધીમે ધીમે ચાલીને કનીદસની સામા મુશ્કેલીથી પહોંચ્યા, ત્યાર પછી પવનને લીધે આગળ જવાયું નહિ, માટે અમે સાલ્મોનેની આગળ ક્રેતેની ઓથે હંકાર્યું.
8 અને મુશ્કેલીથી તેને કિનારે કિનારે હંકારીને સુંદર બંદર નામની જગ્યાએ આવ્યા; તેની પાસે લાસાયા શહેર છે.
9 અને ઘણો વખત ગયો હતો, ને હવે સફર જોખમ ભરેલી હતી, કેમકે ઉપવાસ [નો દિવસ] વિતી ગયો હતો, ત્યારે પાઉલે તેઓને ચેતાવતાં કહ્યું કે,
10 ઓ ભાઈઓ, મને માલુમ પડે છે કે, આ સફરમાં હાની તથા ઘણું નુકસાન એકલા માલને તથા વહાણનેજ નહિ, પણ આપણા જીવોને પણ થશે.
11 પણ પાઉલે જે કહ્યું તે કરતા ટંડેલ તથા વહાણના ઘણીના કહેવા પર સુબેદારે વધારે લક્ષ દીધું.
12 વળી શિયાળો કાઢવા સારું તે બંદર સગવડ ભરેલું નહોતું, માટે ઘણાને સલાહ આપી કે, આપણે અહીંથી નીકળીએ, ને કોઈ પણ રીતે ફેનીક્સ પહોંચીને ત્યાં શિયાળો કાઢીએ; તે ક્રેતેનું બંદર છે, ને ઇશાન તથા અગ્નિ કોણની સામે તેનું મુખ છે.
13 અને દક્ષિણ દિશાથી મંદ પવન વાવા લાગ્યો, ત્યારે અમારી ઈચ્છા પ્રમાણે થશે એમ સમજીને લંગર ઉપાડીને ક્રેતેને કિનારે કિનારે હંકાર્યું.
14 પણ થોડી વાર પછી તે તરફથી યુરાકુલોન નામનો તોફાની પવન છુટ્યો.
15 ને વહાણ તેમાં સપડાયું ને પવનની સામા ટકી ન શક્યું, ત્યારે અમે તેને ઘસડાવા દીધું.
16 અને કૌદા નામના એક નાના બેટની ઓથે ગયા, ત્યારે મછુવો બચાવી લેવામાં ઘણી મુસીબત પડી;
17 ને તેને ઉપર તાણી લીધા પછી તેઓએ વહાણની તળે બચાવના બંધ બાંધ્યા, ને સીતર્સ ઉપર અથડાઈ પડવાની બીકથી સઢ સામાન ઉતાર્યા, ને એમનાએમ તણાયા.
18 અને અમને બહુ તોફાન લાગ્યાથી બીજે દિવસે તેઓએ માલ વામી નાખવા માંડ્યો;
19 ને ત્રીજે દિવસે તેઓએ પોતાને હાથે વહાણનો સામાન નાખી દીધો.
20 અને ઘણા દિવસ સુધી સુરજ તથા તારાઓ દેખાયા નહિ, ને તોફાન ભારે મચ્યું રહ્યું, તેથી અમારા બચવાની તમામ આશા લોપ થઇ.
21 પણ ઘણી લાંઘણ થયા પછી પાઉલે તેઓની વચ્ચે ઉભા રહીને કહ્યું કે, ભાઈઓ, તમારે મારું માનવું જોઈતું હતું, ને ક્રેતેથી નીકળીને આ હાની તથા નુકસાન વહોરી લેવાં ન હતાં.
22 પણ હવે હું તમને વિનંતી કરું છું કે, હિમ્મત પકડો, કેમકે તમારામાંના કોઈના જીવની હાની નહિ થશે, એકલા વહાણની થશે.
23 કેમકે જે દેવનો હું છું, ને જેની સેવા પણ હું કરું છું તેના દૂતે ગઈ રાત્રે મારી પાસે ઉભા રહીને કહ્યું કે,
24 પાઉલ, બી માં, કાઈસારની રૂબરૂ તારે ઉભા રહેવું પડશે, ને જુઓ, તારી સાથે સફર કરનારા સઘળાને દેવે તારે સારું બચાવ્યા છે.
25 એ માટે, ભાઈઓ, હિમ્મત પકડો, કેમકે દેવ પર મારો ભરોસો છે કે, જેમ મને કહેવામાં આવ્યું છે તેમજ થશે.
26 તથાપિ આપણને એક બેટ પર અથડાઈ પડવું જરૂરનું છે.
27 પણ ચૌદમી રાત આવી ત્યારે અમે આદરીઆ [સમુદ્ર] માં અમ તેં ઘસડાતા હતા, ને સુમારે મધરાતે ખલાસીઓને લાગ્યું કે અમે કોઈ એક દેશની નજદીક આવી પહોંચ્યા છીએ.
28 અને મુડદ નાખ્યું, ત્યારે વીસ વામ [પાણી] માલમ પડ્યું ને થોડું આગળ ગયા પછી તેઓએ ફરી નાખ્યું, ત્યારે પંદર વામ માલામ પડ્યું.
29 અને રખે કદાપિ અફળાઈએ, એવી બીકથી તેઓએ ડબુસા પરથી ચાર લંગર નાખ્યાં, ને દિવસ ઉગવાની વાટ જોતા બેઠા.
30 અને ખલાસીઓ વહાણમાંથી નાસી જવાનો લાગ શોધતો હતા, ને નાળ પરથી લંગર નાખવાનું ડોળ દેખાડીને તેઓએ સમુદ્રમાં મછવો ઉતાર્યો હતો,
31 ત્યારે પાઉલે સુબેદાર તથા સિપાઈઓને કહ્યું કે, જો એઓ વહાણમાં નહિ રહે તો તમે બચી શકવાના નથી.
32 ત્યારે સિપાઈઓએ મછવાનાં દોરડાં કાપી નાખીને તેને જવા દીધો.
33 અને દિવસ ઉગવાનો હતો એટલામાં પાઉલે સર્વને અન્ન ખાવાને વિનંતી કરીને કહ્યું કે, આજલ ચૌદ દિવસ થયા વાટ જોતાં જોતાં તમે લાંઘણ કરીને કંઈ ખાધું નથી.
34 એ માટે હું તમને વિનંતી કરું છું કે, કંઇક ખોરાક લો, કેમકે એ તમારું રક્ષણને સારું છે; કારણ કે તમારામાંના કોઈના માથાનો એક નીમાળો ખરવાનો નથી.
35 અને તેણે એમ કહીને રોટલી લીધી, ને તે સર્વની આગળ દેવની સ્તુતિ કીધી, ને તે ભાંજીને ખાવા લાગ્યો.
36 ત્યારે તેઓ સર્વને હિમ્મત આવી, ને તેઓએ પણ અન્ન ખાધું.
37 અને વહાણમાં અમે સર્વ મળીને બસેં છોત્તરે માણસ હતા.
38 અને ખાઈને તૃપ્ત થયા પછી તેઓએ ઘઉં સમુદ્રમાં વામી નાખીને વહાણ હલકું કર્યું.
39 અને દિવસ ઉગ્યો ત્યારે તેઓએ તે દેશ ઓળખ્યો નહિ, પણ [રેતીના] કાંઠાવાળી એક ખાડી દીઠી, અને વહાણને હંકારીને તે [કિનારા] પર છીતાવી શકાય કે નહિ એ વિષય તેઓએ મસલત કીધી.
40 અને લંગરો છુટાં કરીને સમુદ્રમાં રહેવા દીધાં, ને તેજ વખતે સુકાનના બંધ છોડીના આગલો સઢ પવન તરફ ચઢાવીને કાંઠા ભણી જવા લાગ્યા.
41 અને બે પ્રવાહના સંગમની જગ્યાએ આવી પડ્યાથી તેઓએ વહાણ છીતાવ્યું, ને નાળ અથડાઈને સજ્જડ ચોંટી બેઠી, પણ ડબુસો મોજના જોરથી ભાંગી જવા લાગ્યો.
42 ત્યારે સિપાઈઓની એવી સલાહ હતી કે બંદીવાનોને મારી નાખીએ, રાખે તેઓમાંથી કોઈ તરીને નાસી જાય.
43 પણ સુબેદારે પાઉલને બચાવવા ચાહીને તેમની ધારણા અમલમાં આણતા અટકાવ્યા, ને આજ્ઞા કીધી કે, જેઓને તરતાં આવડતું હોય તેઓએ કુદી પડીને પહેલાં કિનારે જવું;
44 અને બાકીનામાંથી કેટલાકે પાટિયા પર તથા કેટલાકે વહાણના કાંઈ બીજા સામાન પર ટેકીને કિનારે જવું. અને તેથી એમ થયું કે તેઓ સઘળા કિનારા પર સહીસલામત પહોંચ્યાં.