1 ત્યારે ઘણા લોક જોઇને તે પહાડ પર ચઢી ગયો; ને તે બેઠા પછી તેના શિષ્યો તેની પાસે આવ્યા.
2 અને તેણે પોતાનું મ્હો ઉઘાડીને તેઓને ઉપદેશ કરતાં કહ્યું કે,
3 આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે; કેમકે આકાશનું રાજ્ય તેઓનું છે.
4 જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે; કેમકે તેઓ દિલાસો પામશે.
5 જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે; કેમકે તેઓ પૃથ્વીનું વતન પામશે.
6 જેઓને ન્યાયીપણાનું ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે; કેમકે તેઓ ધરાશે.
7 દયાળુઓને ધન્ય છે; કેમકે તેઓ દયા પામશે.
8 મનમાં જે શુદ્ધ તેઓને ધન્ય છે; કેમકે તેઓ દેવને જોશે.
9 સલાહ કારાવનારાઓને ધન્ય છે; કેમકે તેઓ દેવના દીકરા કહેવાશે.
10 ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી કરાઇ છે તેઓને ધન્ય છે; કેમકે આકાશનું રાજ્ય તેઓનું છે.
11 જયારે લોક તમારી નિંદા કરશે, ને પુઠે લાગશે, ને મારે લીધે તમારી વિરુદ્ધ હરેક ભુંડી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમને ધન્ય છે.
12 તમે આનંદ કરો તથા ઘણા હરખાઓ; કેમકે આકાશમાં તમારો બદલો મોટો છે; કેમકે તમારી અગાઉના ભવિષ્યવાદીઓની પુઠે તેઓ એમજ લાગ્યા હતા.
13 તમે જગતનું મીઠું છો; પણ જો મીઠું બેસ્વાદ થયું તો તે શાથી ખારું કરાશે? બહાર ફેંકાવા તથા માણસોના પગ તળે છુંદાવા વગર તે ફરી બીજા કંઇ કામનું નથી.
14 તમે જગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ શકતું નથી.
15 અને દીવો કરીને તેને માપ તળે નહિ, પણ દીવી પર મુકે છે, ત્યારે ઘરમાંના બધાંને તે અજવાળું આપે છે.
16 તેમ તમે તમારું અજવાળું લોકની આગળ એવું પ્રકાશવા દો કે, તેઓ તમારી રૂડી કરણીઓ જુએ, ને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે.
17 નિયમશાસ્ત્ર અથવા ભવિષ્યવાદીઓની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું, એમ ન ધારો; હું નાશ કરવા નહિ, પણ પૂર્ણ કરવા આવ્યો છું.
18 કેમકે હું તમને ખચિત કહું છું કે, આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી સઘળાં પુરા થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો અથવા માત્રા જતી રહેશે નહિ.
19 એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંની એકને જો કોઇ તોડશે, ને માણસોને એવું શિખવશે, તો તે આકાશના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે; પણ જો કોઇ તે પાળશે ને શિખવશે તો તે આકાશના રાજ્યમાં મોટો કહેવાશે.
20 કેમકે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશીઓના ન્યાયીપણા કરતાં જો તમારું ન્યાયીપણું વધારે ન હોય, તો આકાશના રાજ્યમાં તમે નહિજ પેસશો.
21 હત્યા ના કર, ને જે કોઇ હત્યા કરે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે, એમ પુરાતન કાળમાં લોકોને કહેલું હતું, એ તમે સાંભળ્યું છે;
22 પણ હું તમે કહું છું કે, જે કોઇ પોતાના ભાઇ પર અમથો ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે; ને જે પોતાના ભાઇને પાજી કહેશે, તે ન્યાયસભાથી અપરાધી ઠરવાના જોખમમાં આવશે; ને જે તેને કહેશે કે તું મૂર્ખ છે, તે અગ્નિની ગેહેન્નાના જોખમમાં આવશે;
23 એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે, ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઇને મારે વિરુદ્ધ કંઈ છે,
24 તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પહેલાં તારા ભાઇ સાથે સલાહ કર, ત્યાર પછી આવીને તારું અર્પણ ચઢાવ.
25 જ્યાં સુધી તું તારા વાડીની જોડે માર્ગમાં છે, ત્યાં સુધી તેની સાથે વહેલો મળી જા; રખે કદી વાદી તને ન્યાયાધીશને સોંપે, ને ન્યાયાધીશ તને સીપાઈને સોંપે, ને તું કેદખાનામાં નંખાય.
26 હું તને ખચિત કહું છું કે તું છેલ્લી દમડી ચુકવી આપીશ, ત્યાં લગી તું ત્યાંથી બહાર નીકળનારજ નથી.
27 વ્યભિચાર ન કર, એમ કહેલું હતું, એ તમે સાંભળ્યું છે;
28 પણ હું તમને કહું છું કે, બાયડી ઉપર કે કોઇ ખોટી નજર કરે છે, તેણે એટલામાં પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.
29 અને જો તારી જમણી આંખ તને ઠોકર ખવડાવે, તો તેણે કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમકે તારા અવયવમાંના એકનો નાશ થાય, ને તારું આખું શરીર નરકમાં ન નંખાય, એ તને ગુણકારક છે.
30 અને જો તારો જમણો હાથ તને ઠોકર ખવડાવે, તો તેણે કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમકે તારા અવયવમાંના એકનો નાશ થાય, ને તારું આખું શરીર નરકમાં ન નંખાય, એ તને ગુણકારક છે.
31 જે કોઇ પોતાની બાયડીને મુકી દે તે તેને ફારગતી લખી આપે, એમ પણ કહ્યું હતું
32 પણ હું તમને કહું છું કે વ્યભિચાર કારણ વગર જે કોઇ પોતાની બાયડીને મૂકી દે, તે તેની પાસે વ્યભિચાર કરાવે છે; ને જે કોઇ તે મૂકી દીધેલીની જોડે લગ્ન કરેતે વ્યભિચાર કરે છે.
33 વળી, તું જુઠા સમ ન ખા, પણ પ્રભુ પાસે તારા સમ પુરા કર, એમ પુરાતન કાળમાં લોકોને કહેલું હતું, એ તમે સાંભળ્યું છે.
34 પણ હું તમને કહું છું કે, કંઇજ સમ ન ખાઓ; આકાશના નહિ, કેમકે તે દેવનું રાજ્યાસન છે;
35 અને પૃથ્વીના નહિ, કેમકે તે તેનું પાયાસન છે; અને યરુશાલેમના નહિ, કેમકે તે મોટા રાજાનું નગર છે.
36 અને તું તારા માથાના પણ સમ ન ખા, કેમકે તારાથી એક નીમાળો ધોળો અથવા કાળો નથી કરાતો.
37 પણ તમારું બોલવું હાનું હા , ને નાનું ના હોય, કેમકે એ કરતાં અધિક જે છે તે ભુંડાથી છે.
38 આંખોને બદલે આંખ, દાંતને બદલે દાંત, એમ કહેલું હતું, એ તમે સાંભળ્યું છે.
39 પણ હું તમે કહું છું કે જે ભુંડો હોય તેની સામા ન થાઓ, પણ જે કોઈ તારા જમણા ગાલ પર તમાચો મારે, તેની ગમ બીજો પણ ફેરવ.
40 અને જે તારું બદન લેવા સારું તારા પર દાવો કરે, તેને તારો અંગરખો પણ લેવા દે.
41 અને જો કોઇ જોરાવરીએ તને એક ગાઉં લઇ જાય, તેની સાથે બે ગાઉં જા.
42 જે કો તારી પાસે માગે તેને તું આપ, ને તારી કને જે ઉછીનું લેવા ચાહે છે, તેનાથી મ્હો ન ફેરવ.
43 તું તારા પડોસી પર પ્રીતિ કર, ને તારા વેરી ઉપર દ્વેષ કર, એમ કહેલું હતું, એમ તમે સાંભળ્યું છે.
44 પણ હું તમને કહું છું કે તમે તમારા વેરીઓ પર પ્રીતિ કરો, જે તમને શાપ દે છે તેઓને આશીર્વાદ દો, જે તમારો દ્વેષ કરે છે તેઓનું ભલું કરો, ને જે તમને સતાવે છે, ને તમારી પુઠે લાગે છે તેઓને સારૂ પ્રાર્થના કરો; ;
45 એ માટે કે તમે આકાશમાંના તમારા બાપના દીકરા થાઓ, કારણ કે તે પોતાના સુરજને ભુંડા તથા ભલા પર ઉગાવે છે,ને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ વરસાવે છે.
46 કેમકે જે તમારા પર પ્રીતિ કરે છે, તેઓ પર જો તમે પ્રીતિ કરો છો, તો તમને શું ફળ છે? દાણીઓ પણ શું એમ નથી કરતાં?
47 અને જો તમે કેવળ તમારા ભાઇઓને સલામ કરો છો, તો તમે વિશેષ શું કરો છો? દાણીઓ પણ શું એમ નથી કરતાં?
48 એ માટે જેવો તમારો આકાશમાંનો બાપ સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થશો.