1 જેઓના હૃદય શુદ્ધ છે ઇસ્રાએલ પર; તેમના પર ખરેખર દેવ કૃપાવાન છે.

2 પરંતુ હું લગભગ લપસ્યો અને પાપ કરવા લાગ્યો,

3 કારણ જ્યારે મેં પેલા દુષ્ટ લોકોની શાંતિ અને સમૃદ્ધિ જોઇ.

4 તેઓને જીવનપર્યંત મુશ્કેલી આવતી નથી, અને તેઓ સમૃદ્ધ અને બળવાન થતાં જાય છે.

5 તેમનાં પર માનવજાતનાં દુ:ખો આવતાં નથી; અને બીજાઓની જેમ તેઓને પીડા થતી નથી.

6 તેઓનો ગર્વ ગળાની કંઠી જેવો છે, જે હીરાની જેમ ચમકે છે; તેઓએ હિંસા રૂપી વસ્ર ધારણ કર્યા છે.

7 તેઓ જે વસ્તુઓને જુએ છે તેને વધુ ને વધુ રાખવા ઇચ્છે છે; તેને પ્રાપ્ત કરવાના માગોર્ હંમેશા શોધે છે.

8 તેઓ અન્યોની મશ્કરી કરે છે અને ધિક્કારથી વાત કરે છે, તેમણે અન્યો પર કેવી રીતે દમન કર્યું તેના વિષે અભિમાનથી બોલે છે.

9 દેવની વિરુદ્ધ તેઓ બણગાં ફૂંકે છે, તેઓની જીભ અભિમાનથી વાતો કરે છે; પૃથ્વી પર.

10 તેથી દેવના લોકો પણ તેમની તરફ વળે છે અને તેઓ જે કહે તે સ્વીકારે છે.

11 તેઓ પૂછે છે કે, “જે કાંઇ બની રહ્યું છે, તે વિષે શું દેવ માહિતગાર છે? શું પરાત્પરમાં કાંઇ જ્ઞાન છે?”

12 દુષ્ટ લોકોને જુઓ તો તેઓ હંમેશા ચિંતામુકત હોય છે; અને તેઓ શાંતિમાં રહીને સંપત્તિ વધારતા જાય છે.

13 મે મારંુ હૃદય શુદ્ધ રાખ્યું છે, અને મારા હાથ નિદોર્ષ રાખ્યા છે; પણ તેથી કોઇ વિશેષ ફાયદો નથી.

14 કારણ હું આખો દિવસ પીડાયા કરું છું, અને દર સવારે મને શિક્ષા થાય છે.

15 પરંતુ જો મેં આ પ્રમાણે કહેવાનો નિર્ણય કર્યો હોત, તો મેં તમારા લોકોનો વિશ્વાસઘાત કર્યો હોત.

16 જ્યારે મેં તે સમજવા ઊંડો વિચાર કર્યો, ત્યારે મને લાગ્યું કે તે સમજવું મારે માટે બહુ કઠીન છે.

17 પછી હું દેવના પવિત્રસ્થાનમાં એક દિવસ ધ્યાન કરવા માટે ગયો, ત્યાં હું આખરે દુષ્ટ લોકો વિષે તેમનાં ભવિષ્ય અને તેમના અંત વિષે સમજ્યો.

18 તમે તેઓને લપસણી જગાએ મૂકો છો, અને તેઓને વિનાશમાં ફેંકી દો છો.

19 તેમની સુખસમૃદ્ધિનો તત્કાળ અંત આવશે, અને તેઓ અનંતકાળપર્યંત ત્રાસ પામશે.

20 તેઓનું વર્તમાન જીવન કેવળ એક સ્વપ્ન જેવું છે, માનવ સ્વપ્નમાંથી જાગી વાસ્તવિકતા નિહાળે છે; તેમ તેઓ જાગ્રત થશે, હે યહોવા સત્ય સબંધી નીશ્ચે.

21 જ્યારે હું આ બધી વસ્તુઓ વિષે વિચારતો હતો ત્યારે મારું હૃદય ઉદાસ બની ગયું.

22 કેટલો મૂર્ખ અને અજ્ઞાની છું, હું તે જાણી શક્યો; હે દેવ, તમારી સમક્ષ હું તો હતો માત્ર એક પશુ જેવો.

23 પરંતુ, તેમ છતાંય, હું હંમેશા તમારી સાથે છું. અને તમે મારા જમણા હાથને પકડી રાખ્યો છે.

24 તમારા બોધથી અને સલાહથી જીવનપર્યત તમે દોરવણી આપશો; અને પછી તમે તમારા મહિમામાં મારો સ્વીકાર કરશો.

25 આકાશમાં તમારા વિના મારું બીજું કોણ છે; અને પૃથ્વી પર મને બીજું કોઇ પ્રિય નથી.

26 મારી તંદુરસ્તી ભલે મને છોડી જાય, મારું હૃદય ભલે તૂટી જાય, પણ મારી પાસે ખડક છે જેને હું ચાહું છું મારી પાસે દેવ સદાકાળ માટે છે.

27 પરંતુ તેઓ જે દેવથી દૂર છે તેમનો વિનાશ થશે. અને જેઓ તમને વફાદાર રહેતા નથી, તેમનો સંપૂર્ણ નાશ તમારા દ્વારા થશે.

28 પરંતુ હું દેવની નજીક રહ્યો છું અને તે મારા માટે સારું છે! મેં મારા પ્રભુ યહોવાને મારો આશ્રય બનાવ્યો છે! હું તમારા બધાં અદભૂત કૃત્યો વિષે કહેવા આવ્યો હતો.