1 તેજ વેળાએ શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે, આકાશના રાજ્યમાં મોટું કોણ છે?

2 ત્યારે તેણે એક બાળકને પાસે બોલાવીને તેને તેઓની વચ્ચે ઉભું રાખ્યું,

3 અને કહ્યું કે, હું તમને ખચિત કહું છું કે, જો તમે ફરો નહિ, ને બાળકોના જેવા થાઓ નહિ, તો આકાશના રાજ્યમાં તમે નહિજ પેસશો.

4 માટે જે કોઇ પોતાને આ બાળકના જેવું દીન કરશે, તેજ આકાશના રાજ્યમાં સૌથી મોટું છે.

5 વળી જે કોઇ મારે નામે એવા એક બાળકનો અંગીકાર કરે છે તે મારો અંગીકાર કરે છે.

6 પણ આ નાનાઓ જે મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે કોઇ ઠોકર ખવડાવશે તે કરતાં તેની કોટે ઘંટીનું પદ બંધાય, ને તે સમુદ્રના ઉંડાણમાં ડુબાડાય એ તેને માટે સારૂ છે.

7 ઠોકરોને લીધે જગતને અફસોસ છે; ઠોકરો આવવાની અગત્ય તો છે, પણ જે માણસથી ઠોકર આવે છે તેણે અફસોસ છે.

8 માટે જો તારો હાથ અથવા તારો પગ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે; તારા બે હાથ અથવા બે પગ છતાં તું અનંત અગ્નિમાં નંખાય, એ કરતાં લંગડો અથવા ટુંડો થઇ જીવનમાં પેસવું તારે માટે સારૂં છે.

9 અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે, તો તેણે કાઢી નાખીનને તારી પાસેથી ફેંકી દે; તારી બે આંખ છતાં તું નરકાગ્નિમાં નંખાય, એ કરતાં કાણો થઇ જીવનમાં પેસવું તારે માટે સારૂ છે.

10 આ નાનાઓમાંના એકને તમે ન વખોડો માટે સાવધાન રહો, કેમકે હું તમને કહું છું કે આકાશમાં તેઓના દૂત મારા આકાશમાંના બાપનું મ્હો સદા જુએ છે.

11 [[કેમકે જે ખોવાએલું તેને બચાવવાને માણસનો દીકરો આવ્યો છે.]]

12 તમે શું ધારો છો, જો કોઇ માણસની પાસે સો ઘેંટા હોય, ને તેમાંથી એક ભુલું પડે, તો શું નવ્વાણુંને પહાડ પર મુકીને તે ભુલા પડેલાને શોધવા જતો નથી?

13 અને જો તે તેને જડે તો હું તમને ખચિત કહું છું કે, જે નવ્વાણું ભુલા પડેલાં ન હતાં, તેઓના કરતાં તેને લીધે તે વત્તો હરખાય છે.

14 એમ અ નાનાઓમાંથી એકનો નાશ થાય, એવી તમારા આકાશમાંના બાપની ઈચ્છા નથી.

15 વળી જો તારો ભાઇ તારી વિરુદ્ધ અપરાધ કરે, તો જા, ને તું ને તે એકાંતે જઈને તેનો દોષ તેને કહે; જો તે તારું સાંભળે, તો તેં તારા ભાઈને મેળવી લીધો છે.

16 પણ જો તે ન સાંભળે, તો બીજા એક બે જન તારી સાથે લે, એ માટે કે હરેક વાત બે અથવા ત્રણ શાહેદીના મ્હોથી સાબીત થાય.

17 અને જો તે તેઓનું ન માને, તો મંડળીને કહે, ને જો મંડળીનું પણ તે ન માને તૂ તેને વિદેશી તથા દાણીના જેવો ગણ.

18 હું તમને ખચિત કહું છું કે, જે કંઇ તમે પૃથ્વી પર બાંધશો, તે આકાશમાં બંધાશે; ને જે કંઇ તમે પૃથ્વી પર છોડશો, તે આકાશમાં છોડાશે.

19 વળી હું તમને કહું છું કે, જો પૃથ્વી પર તમારામાંના બે કંઈ પણ વાત સંબંધી એક ચિત્તના થઈને માગશે, તો મારા આકાશમાંના બાપથી તેઓને સારૂ તે કરાશે.

20 કેમકે જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકઠા થએલા હોય ત્યાં તેઓની વચમાં હું છું.

21 ત્યારે પીતરે તેની પાસે આવીને કહ્યું કે, ઓ પ્રભુ, મારો ભાઇ મારી વિરુદ્ધ કેટલી વાર અપરાધ કરે, ને હું તેને માફ કરૂં? શું સાત વાર સુધી?

22 ઇસુએ તેને કહ્યું કે, સાત વાર સુધીનું હું તને નથી કહેતો, પણ સિત્તેર ગણી સાત વાર સુધી.

23 એ માટે આકાશના રાજ્યને એક રાજાની ઉપમા અપાય છે કે જેણે પોતાના ચાકરો પાસે હિસાબ લેવા ચાહ્યો.

24 અને તે હિસાબ લેવા લાગ્યો, ત્યારે તેઓએ દસ હજાર તાલંતના એક દેવાદારને તેની પાસે આણ્યો.

25 પણ વાળી આપવાનું તેની પાસે ન હોવાથી, તેના શેઠે તેને તથા તેની બાયડીને તથા તેનાં છોકરાને તથા તેની પાસે જે હતું તે સઘળું વેચીને દેવું વાળવાની આજ્ઞા કીધી.

26 એ માટે એ ચાકરે તેને પગે લાગીને વિનંતી કરતાં કહ્યું કે, સાહેબ, ધીરજ રાખ, ને હું તારું બધું વાળીશ.

27 ત્યારે તે ચાકરના શેઠને દયા આવ્યાથી તેણે તેને મૂકી દીધો, ને દેવું તેને માફ કીધું.

28 પણ તેજ ચાકરે બહાર જઈને પોતાના સાથી ચાકરોમાંના એકને દીઠો જે તેના સો દીનારનો દેવદાર હતો, ત્યારે તેણે તેનો ટોટો પકડીને કહ્યું કે, તારું દેવું વાળ.

29 ત્યારે તેના સાથી ચાકરે તેને પગે લાગીને તેને વિનંતી કરતાં કહ્યું કે, ધીરજ રાખ, ને હું તારું વાળી આપીશ.

30 અને તેણે માન્યું નહિ, પણ જઈને તે દેવું વાળે ત્યાં લગી તેને કેદખાનામાં નાખ્યો.

31 ત્યારે જે જે થયું તે તેના સાથી ચાકરો જોઇને ઘણા દલગીર થયા, ને તેઓએ જઈને જે થયું તે બધું પોતાના શેઠને કહી દેખાડ્યું.

32 ત્યારે તેના શેઠે તેને બોલાવીને કહ્યું કે, અરે દુષ્ટ ચાકર, તે મને વિનંતી કીધી, માટે મેં તને તે બધું લેણું માફ કીધું.

33 ને તારા પર જેવી દયા કીધી તેવી દયા શું તને પણ તારા સાથી ચાકર પર કરવી ઘટાર્થ ન હતી?

34 અને તેના શેઠે ગુસ્સે થઈને તેનું બધું દેવું વાળે ત્યાં સુધી તેને પીડા આપનારાઓને સોંપ્યો.

35 એ પ્રમાણે જો તમે પોતપોતાના ભાઇઓના અપરાધ પોતાના અંતઃકરણથી માફ નથી કરતા, તો મારો આકાશમાંનો બાપ પણ તમને એમજ કરશે.