1 તે વેળાએ ઇસુ વિશ્રામવારે દાણાનાં ખેતરમાં થઈને જતો હતો, ને તેના શિષ્યોને ભૂખ લાગી, ને તેઓ કણસલાં તોડવા તથા ખાવા લાગ્યા.

2 ત્યારે ફરોશીઓએ જોઇને તેને કહ્યું કે, જો, વિશ્રામવારે જે કરવું ઉચિત નથી તે તારા શિષ્યો કરે છે..

3 પણ તેણે તેઓને કહ્યું કે, જયારે દાઉદ તથા તેના સાથીઓ ભુખ્યા હતા, ત્યારે તેણે જે કર્યું તે શું તમે વાંચ્યું નથી?

4 કે તેણે દેવના ઘરમાં પેસીને અર્પેલી રોટલી, જે તેને તથા તેના સાથીઓને ખાવા ઉચિત ન હતી, પણ એકલા યાજકોને હતી, તે તેણે ખાધી.

5 અતવા શું નિયમશાસ્ત્રમાં તમે એ નથી વાંચ્યું કે, વિશ્રામવારે મંદિરમાં યાજકો વિશ્રામવારને અપવિત્ર કર્યા છતાં પણ નિર્દોષી છે?

6 પણ હું તમને કહું છું કે મંદિર કરતાં અહીં એક મોટો છે.

7 વળી યજ્ઞ કરતાં હું દયા ચાહું છું, એનો અર્થ જો તમે જાણત, તો નિર્દોષીઓને દોષિત ન ઠરાવત.

8 કેમકે માણસનો દીકરો વિશ્રામવારનો પ્રભુ છે.

9 અને તે ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં આવ્યો.

10 અને જુઓ, ત્યાં એક માણસ હતો જેનો હાથ સુકાઇ ગએલા હતો; અને તેઓએ ઇસુ પર બટ્ટો મુકવા સારૂ તેને પુછતાં કહ્યું કે, શું વિશ્રામવારે સાજું કરવું ઉચિત છે?

11 ત્યારે તેણે તેઓને કહ્યું કે, તમારામાં એવું કયું માણસ હશે કે, જેણે એક ઘેટું હોય, ને વિશ્રામવારે તે જો ખાડામાં પડે તો તેને પકડીને બહાર ન કાઢશે?

12 તો માણસ ઘેટાં કરતાં કેટલું ઉત્તમ છે? એ માટે વિશ્રામવારે સારૂ કરવું ઉચિત છે.

13 ત્યારે પેલા માણસને તે કહે છે કે, તારો હાથ લાંબો કર. અને તેણે લાંબો કીધો, અને તે હાથ બીજાના જેવો સાજો થયો.

14 ત્યારે ફરોશીઓએ નીકળીને તેને મારી નાખવાને માટે તેની વિરુદ્ધ મસલત કીધી.

15 પણ ઇસુ એ જાણીને ત્યાંથી નીકળ્યો; ને ઘણા લોક તેની પાછળ ગયા; ને તેણે બધાને સાજા કીધા

16 પણ તેઓ તેને પ્રગટ ન કરે માટે તેણે તેઓને સખત આજ્ઞા આપી.

17 એ માટે કે યશાયાહ ભવિષ્યવાદીએ જે કહ્યું હતું તે પુરૂં થાય કે,

18 જુઓ, મારો સેવક, જેને મેં પસંદ કીધો; મારો પ્રિય, જેનાં પર મારો જીવ પ્રસન્ન છે; તે પર હું મારો આત્મા મુકીશ; ને તે વિદેશીઓને ન્યાયકરણ પ્રગટ કરશે.

19 તે ઝઘડો નહિ કરશે, ને બૂમ નહિ પાડશે; ને તેની વાણી રસ્તાઓમાં કોઇ નહિ સાંભળશે.

20 જ્યાં લગી ન્યાયકરણને જયમાં પહોંચાડે ત્યાં લગી છૂંદેલું બરૂ તે ભાંગી નહિ નાખશે, ને ધુંઆતુ સણ પણ તે નહિ હોલવશે.

21 અને વિદેશીઓ તેના નામ પર આશા રાખશે.

22 ત્યારે ભૂત વળગેલા કોઇ આંધળા મુંગા માણસને તેની પાસે લાવ્યા; ને તેણે તેને સાજો કીધો, એટલે જે આંધળો તથા મુંગો હતો તે બોલવા ને જોવા લાગ્યો.

23 અને સઘળાં લોકોએ અચરત થઈનને કહ્યું કે, શું એ દાઉદનો દીકરો નથી?

24 પણ ફરોશીઓએ ત સાંભળીને કહ્યું કે, ભૂતોના સરદાર બાલઝબુલ [ની મદદ] વગર તે ભૂતોને કાઢતો નથી.

25 ત્યારે ઇસુએ તેઓનો વિચાર જાણીને તેઓને કહ્યું કે, પ્રત્યેક રાજ્ય જેમાં ફૂટ પડે, તે તુટી પડે છે; ને પ્રત્યેક નગર અથવા ઘર જેમાં ફૂટ પડે તે સ્થિર નહિ રહેશે.

26 અને જો શેતાન શેતાનને કાઢે તો તે પોતે પોતાની સામે થયો, ત્યારે તેનું રાજ્ય શી રીતે સ્થિર રહેશે?

27 અને જો હું બાલઝબુલથી ભૂતોને કાઢું છું, તો તમારા દીકરા કોનાથી કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે.

28 પણ જો હું દેવના આત્માથી ભૂતોને કાઢું છું, તો દેવનું રાજ્ય તમારી પાસે આવ્યું છે.

29 વળી બળવાનના ઘરમાં જઈને પહેલાં બળવાનને બાંધ્યા વિના તેનો સામનો કોઇથી કેમ લૂટાય? પણ તેને બાંધ્યા પછી તે તેનું ઘર લૂટી લેશે.

30 જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, ને જે મારી સાથે સંગ્રહ નથી કરતો, તે વેરી નાખે છે.

31 એ માટે હું તમને કહું છું કે, હરેક પાપ તથા દુર્ભાષણ માણસોને માફ કરશે; પણ પવિત્ર આત્મા વિરુદ્ધ જે દુર્ભાષણ તે માણસને માફ નહિ કરાશે.

32 અને માણસના દીકરા વિરુદ્ધ જે કોઇ કંઇ કહેશે, તે તેને માફ કરાશે; પણ પવિત્ર આત્મા વિરુદ્ધ જે કોઇ કંઈ કહેશે, તે તેણે માફ નહિ કરાશે; આ યુગમાં પણ નહિ, ને આવનાર યુગમાં પણ નહિ.

33 ઝાડ સારૂં અને તેનું ફળ સારૂં કરો, અથવા ઝાડ નઠારૂં ને તેનું ફળ પણ નઠારૂં કરૂ; કેમકે ઝાડ ફળથી ઓળખાય છે.

34 ઓ સર્પોના વંશ, તમે ભુંડા છતાં સારી વાતો શી રીતે કહી શકો? કેમકે મનના ભરપુરપણામાંથી મ્હો બોલે છે.

35 સાર માણસ મનના સારા ભંડારમાંથી સારૂં કાઢે છે, ને નઠારૂં માણસ નઠારા ભંડારમાંથી નઠારૂં કાઢે છે.

36 વળી હું તમને કહું છું કે, જે હરેક નકામી વાત માણસો બોલશે, તે સંબંધી ન્યાયકાળે તેઓને જવાબ આપવો પડશે.

37 કેમકે તારી વાતોથી તું ન્યાયી ઠરાવાશે; અને તારી વાતોથી અન્યાયી ઠરાવાશે.

38 ત્યારે કેટલાએક શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ ઉત્તર આપતાં કહ્યું કે, ઓ ઉપદેશક, અમે તારી પાસેથી કંઈ નિશાણી જોવા ચાહીએ છીએ.

39 પણ તેણે ઉત્તર દેતા તેઓને કહ્યું કે, દુષ્ટ તથા વ્યભિચારી પેઢી નિશાણી માગે છે, પણ યુના ભવિષ્યવાદીની નિશાણી શિવાય કોઇ નિશાણી તેને નહિ અપાશે.

40 કેમકે જેમ યુના ત્રણ રાત દહાડા મોટા માછલાના પેટમાં હતો, તેમ માણસનો દીકરો પણ ત્રણ રાત દહાડા પૃથ્વીના પેટમાં રહેશે.

41 નીનવેહનાં માણસ ન્યાયકાળે આ પેઢી સાથે ઉઠી ઉભાં રહેશે, ને તેને અપરાધી ઠરાવશે; કેમકે યૂનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો, પણ જુઓ, યૂના કરતાં અહીં એક મોટો છે.

42 દક્ષિણની રાણી આ પેઢીના સાથે ન્યાયકાળે ઉઠશે, ને એને અપરાધી ઠરાવશે; કેમકે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાને તે આવી; પણ જુઓ, સુલેમાન કરતાં અહીં એક મોટો છે.

43 જયારે અશુદ્ધ આત્મા માણસમાંથી નીકળે છે ત્યારે તે ઉજડ જગ્યામાં વિસામો શોધતો ફરે છે, પણ નથી પામતો.

44 ત્યારે તે કહે છે કે, મારા જે ઘરમાંથી હું નીકળ્યો તેમાંજ હું પાછો જઈશ; ને જયારે તે આવે છે ત્યારે તે તેને ખાલી તથા વાળેલું તથા શોભાયમાન જુએ છે.

45 પછી તે જઈને પોતા કરતાં ભુંડા બીજા સાત આત્માઓને પોતાની સાથે લાવે છે, ને તેઓ તેમાં પેસીને ત્યાં રહે છે, ત્યારે તે માણસની છેલ્લી અવસ્થા પહેલાના કરતાં ભુંડી થાય છે. તેમ આ દુષ્ટ પેઢીને પણ થશે.

46 તે લોકોને હજુ વાત સંભળાવતો હતો એટલામાં જુઓ, તેની માં તથા તેના ભાઇ બહાર ઉભાં હતાં, ને તેની સાથે વાત કરવા ચહાતા હતાં.

47 ત્યારે કોઇએ તેને કહ્યું કે, જો, તારી મા ને તારા ભાઇ બહાર ઉભાં છે ને તેઓ તારી સાથે વાત કરવા ચાહે છે.

48 પણ પેલા કહેનારને તેણે ઉત્તર દેતા કહ્યું કે, મારી મા કોણ છે? ને મારા ભાઈઓ કોણ છે?

49 અને તેણે પોતાના શિષ્યોની તરફ પોતાનો હાથ લાંબો કરીને કહ્યું કે, જુઓ મારી મા, ને મારા ભાઈઓ.

50 કેમકે મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે જ કોઇ કરે છે, તેજ મારો ભાઇ તથા બહેન તથા માં છે.