1 એટલામાં હજારો લોક એકઠાં થયાં તે એટલે સુધી કે તેઓ એક બીજા પર પડતા હતા, ત્યારે સૌથી પહેલાં તે પોતાની શિષ્યોને કહેવા લાગ્યો કેફરોશીઓના ખમીરથી સાવધાન રહો; તે તો ઢોંગ છે.

2 પણ પ્રગટ નહિ કરાશે એવું કંઈ ઢાંકાએલું નથી; ને નહિ જણાશે એવું કંઈ ગુપ્ત નથી.

3 માટે જે કંઈ તમે અંધારામાં કહ્યું છે તે અજવાળામાં સંભળાશે; ને ઓરડીમાં જે કંઈ તમે કાનમાં કહ્યું હશે તે ધાબા પર પ્રગટ કરાશે.

4 અને, મારા મિત્રો, હું તમને કહું છું કે, જેઓ શરીરને મારી નાખે, ને ત્યાર પછી બીજું કંઈ ન કરી શકે, તેઓથી બીહો મા.

5 પણ તમારે કોનાથી બીવું તે વિષે હું તમને ચેતવણી આપીશ; મારી નાખ્યા પછી નરકમાં નાખી દેવાનો જેણે અધિકાર છે તેનાથી બીહો; હા, હું તમને કહું છું કે, તેનાથી બીહો.

6 શું પાંચ ચલ્લી બે પૈસે વેચાતી નથી? પણ દેવની દ્રષ્ટિમાં તેઓમાંની એકે વિસારેલી નથી.

7 પણ તમારા માથાના નિમાળા પણ સઘળા ગણેલા છે. બીહો મા, ઘણી ચલ્લીઓ કરતી તમે મૂલ્યવાન છો.

8 અને હું તમને કહું છું કે, માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે તેને દેવના દૂતો આગળ માણસનો દીકરો પણ કબૂલ કરશે.

9 પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે તેનો નકાર દેવની દૂતોની આગળ કરવામાં આવશે.

10 અને જે કોઈ માણસના દીકરાની વિરુદ્ધ વાત બોલશે, તેને તે માફ કરવામાં આવશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ દુર્ભાષણ કરે તેને તે માફ કરવામાં આવશે નહિ.

11 અને જયારે તેઓ તમને સભાસ્થાનોમાં તથા અધિપતિઓ તથા અધિકારીઓ આગળ લઇ જશે, ત્યારે અમારે કેવી રીતે અથવા શો ઉત્તર આપવો, અથવા અમારે શું કહેવું, તે વિષે ચિંતા ન કરો;

12 કેમકે જે તમને કહેવું જોઈએ તે તેજ ઘડીએ પવિત્ર આત્મા તમને શિખવશે.

13 અને લોકોમાંથી એક જણે તેને કહ્યું કે, ગુરુ, મારા ભાઈને કહે કે તે વારસાનો ભાગ મને આપે.

14 અને તેણે કહ્યું કે, ઓ માણસ, મને તમારા પર ન્યાયાધીશ કે વહેંચી આપનાર કોણે ઠરાવ્યો?

15 અને તેણે તેઓને કહ્યું કે, સાવધાન રહો, ને સર્વ લોભથી પોતાને દૂર રાખો; કેમકે કોઈનું જીવન તેની મિલકતની પુષ્કળતામાં હોતું નથી.

16 અને તેણે તેઓને એવું દ્રષ્ટાંત કહ્યું કે, એક ધનવાન માણસની ભોંયમાંથી ઘણી ઉપજ થઇ;

17 અને તેણે મનમાં એવો વિચાર કીધો કે, હું શું કરું? કેમકે મારી ઉપજ ભરી મૂકવાને મારી પાસે જગ્યા નથી.

18 ને તેણે કહ્યું કે, હું આમ કરીશ; મારી વખારોને હું પાડી નાખીશ, ,એ તે કરતાં હું મોટી બંધાવીશ; ને ત્યાં મારું બધું અનાજ તથા મારી માલમિલકત હું ભરી મુકીશ.

19 અને હું મારા જીવને કહીશ કે, ઓ જીવ, ઘણાં વરસને માટે ઘણી માલમિલકત તારે સારૂ રાખી મુકેલી છે; આરામ લે, ખા, પી, આનંદ કર.

20 પણ દેવે તેણે કહ્યું કે, ઓ મૂર્ખ, આ રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે; ત્યારે જે વસ્તુઓ તે સિદ્ધ કીધી છે તે કોની થશે?

21 જે પોતાને સારૂ દ્રવ્યો સંગ્રહ કરે છે, ને દેવ પ્રત્યે ધનવાન નથી, તે તેવોજ છે.

22 અને તેણે પોતાના શિષ્યોને કહ્યું, એ માટે હું તમને કહું છું કે [તમારા] જીવને સારૂ ચિંતા ન કરો કે અમે શું ખાઈશું, તેં તમારા શરીરને સારૂ પણ ન કરો, કે અમે શું પહેરીશું.

23 કેમકે ખોરાક કરતા જીવ, ને વસ્ત્ર કરતા શરીર, અધિક છે.

24 કાગડાઓનો વિચાર કરો; તેઓ તો વાવતા નથી ને કાપતા નથી; તેઓની પાસે વખાર કે કોઠાર નથી; તોપણ દેવ તેઓનું પોષણ કરે છે; પક્ષીઓ કરતા તમે કેટલા વિશેષ મૂલ્યવાન છો!

25 અને ચિંતા કરવાથી તમારામાંના કોણ પોતાના કદને એક હાથભાર વધારી શકે છે?

26 માટે જે સૌથી નાનું કામ તે જો તમે કરી નથી શકતા, તો બીજાં વિષે તમે કેમ ચિંતા કરો છો?

27 ફૂલઝાડોનો વિચાર કરો; તેઓ કેવા વધે છે; તેઓ મહેનત કરતા નથી, તેઓ કાંતતાં પણ નથી; તોપણ હું તમને કહું છું કે, સુલેમાન પણ પોતાના સઘળા વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો.

28 એ માટે ખેતરનું ઘાસ જે આજ છે તે કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો દેવ એવું પહેરાવે છે, તો, ઓ અલ્પવિશ્વાસીઓ, તે તમને પહેરાવશે, એ કેટલું વિશેષ ખાતરીપૂર્વકછે?

29 આને અમે શું ખાઈશું કે શું પીશું, એની શોધ ન કરો, ને મનમાં સંદેહ ન રાખો.

30 કેમકે જગતના લોકો એ સઘળા વાનાં શોધે છે; પણ તમારો બાપ જાણે છે કે એ વાનાંની તમને અગત્ય છે.

31 પરંતુ તમે તેનું રાજ્ય શોધો; ને એ વાનાં પણ તમને અપાશે.

32 ઓ નાની ટોળી, બીઓ મા; કેમકે તમને રાજ્ય આપવાની તમારા બાપની ખુશી છે.

33 તમારી પાસે જે છે તે વેચીને દાનધર્મ કરો; જીર્ણ નહિ થાય એવી થેલીઓ, એટલે આકાશમાં અખુટ દ્રવ્ય, પોતાને સારૂ મેળવો; કે જ્યાં ચોર આવતો નથી, ને કીડો ખાઈ જતો નથી.

34 કેમકે જ્યાં તમારૂં દ્રવ્ય છે ત્યાંજ તમારૂં ચિત્ત પણ રહેશે.

35 તમારી કમરો બાંધેલો તથા તમારી દીવો સળગેલો રાખો;

36 અને જે માણસો પોતાનો ઘણી લગ્નમાંથી ક્યારે પાછો આવે તેની વાટ જુએ છે, એ માટે કે તે આવીને ઠોકે કે તત્કાળ તેઓ તેને સારૂ દ્વાર ઉધાડે, તેઓના જેવો તમે થાઓ.

37 જે દાસોને ઘણી આવીને જાગતા જોશે તેઓને ધન્ય છે; હું તમને ખચિત કહું છું કે, તે પોતાની કમર બાંધીને તેઓને જમવા બેસાડશે, ને આવીને તેઓની સેવા કરશે.

38 અને જો તે બીજે પહોરે આવે, કે ત્રીજે પહોરે આવે, ને તેઓને એમ [કરતાં] જુએ, તો તે દાસોને ધન્ય છે.

39 પણ આટલું સમજો જે જો ઘરઘણી જાણતો હોત કે, કઈ ઘડીએ ચોર આવશે, તો તે જાગતો રહેત, ને પોતાના ઘરમાં ખાતર પાડવા ન દેત.

40 તમે પણ તૈયાર રહો; કેમકે તમારા ધારવામાં નહિ હોય તે ઘડીએ માણસનો દીકરો આવશે.

41 અને પીતરે કહ્યું કે, પ્રભુ, તું આ દૃષ્ટાંત અમને, કે સર્વને કહે છે?

42 ને પ્રભુએ કહ્યું કે, જેણે તેનો ઘણી પોતાના ઘરનાંઓને યોગ્ય સમયે અન્ન આપવા સારૂ પોતાના ઘર પર ઠરાવશે એવો વિશ્વાસુ તથા શાણો કારભારી કોણ છે?

43 જે દાસને તેનો ઘણી એમ કરતો જોશે તેનો ધન્ય છે.

44 હું તમને સાચું કહું છું કે, તે પોતાની સર્વ માલમિલકત પર તેને [કારભારી] ઠરાવશે.

45 પણ જો તે દાસ પોતાના મનમાં કહેશે કે મારો ઘણી આવતાં વાર લગાડે છે, ને દાસોને તથા દાસીઓને મરવા [માંડેશે], અને ખાવા પીવા, તથા છાંટકો થવા માંડશે;

46 તો જે દહાડે તે વાટ જોતો નથી, ને જે ઘડી તે જાણતો નથી, તેવામાં તે દાસનો ઘણી આવશે, ને તેને કાપી નાખશે, ને તેનો ભાગ અવિશ્વાસીઓની સાથે ઠરાવશે.

47 અને જે દાસ પોતાની ઘણીની ઈચ્છા જાણ્યા છતાં પોતે સિદ્ધ થયો નહિ હોય, ને તેની ઈચ્છા પ્રમાણે વર્ત્યો નહિ હોય, તે ઘણો માર ખાશે.

48 પણ જેણે વગર જાણે ફટકા યોગ્ય કામ કીધું હશે, તે થોડો માર ખાશે. ને જે કોઈને ઘણું આપેલું છે, તેની પાસેથી ઘણું માંગવામાં આવશે, ને જેણે ઘણું સોંપેલું છે તેની પાસેથી વધારે માંગવામાં આવશે.

49 હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું, ને જો તે સળગી ચુકી હોય તો હું શું ચાહું?

50 પણ મારે એક બાપ્તિસ્મા પામવાનું છે, ને તે પુરૂં થાય ત્યાં સુધી હું કેવો સંકોચમાં આવેલો છે?

51 શું તમે ધારો છો કે પૃથ્વી પર શાંતિ કરાવવા હું આવ્યો છું? હું તમને કહું છું કે ના, પણ તે કરતા ફૂટ પાડવા [આવ્યો છું].

52 કેમકે હવેથી એક ઘરમાં પાંચ મધ્યે ફૂટ પડશે, એટલે ત્રણ બેની સામા, ને બે ત્રણની સામા થશે.

53 બાપ દીકરાની સામો, તથા દીકરો બાપની સામો થશે; માં દીકરીની સામી, ને દીકરી પોતાની માની સામી થશે; સાસુ પોતાની વહુની સામી, ને વહુ પોતાની સાસુની સામી થશે, એમ તેઓમાં ફૂટ પડશે.

54 અને તેણે લોકોને પણ કહ્યું કે, તમે પશ્ચિમથી વાદળી ચઢતી જુઓ છો, કે તરત તમે કહો છો કે, ઝાપટું આવશે, ને એમજ થાય છે.

55 અને જયારે દક્ષિણનો વાં વાય છે ત્યારે તમે કહો છો કે, લુ વાશે, ને એમજ થાય છે.

56 ઓ ઢોંગીઓ, પૃથ્વીનું તથા આકાશનું રૂપ તમે પારખી જાણો છો, તો આ સમય તમે કેમ પારખી નથી જાણતા?

57 ને વાજબી શું છે તે તમે પોતાની મેળે કેમ પારખતા નથી?

58 અને તું તારા વાદીની સાથે અધિકારીની આગળ જતો હોય ત્યારે માર્ગમાં તું તેનાથી છુટકો પામવા સારૂ યત્ન કર, રખે તે તને ન્યાયાધીશ આગળ ઘસડી લઇ જાય, ને ન્યાયાધીશ તને સિપાઈને સ્વાધીન કરે, ને સિપાઈ તને બંદીખાનામાં નાખે.

59 હું તને કહું છું કે, તું છેલ્લી દમડી ચુકવશે, ત્યાં સુધી તું ત્યાંથી નીકળવાનો નથી.