1 “મેં મારી આંખો સાથે કરાર કર્યો છે; કે કોઇ કુમારિકા સામે લાલસાભરી નજરે જોવું નહિ.

2 સર્વસમર્થ દેવ, લોકોને માટે શું કરે છે? તેના ઉચ્ચસ્થાનથી લોકોને બદલો કેવી રીતે આપે છે?

3 શું તે દુરાચારીઓને માટે વિપત્તિ અને ખોટું કરનારાઓ માટે વિનાશ મોકલી આપતા નથી?

4 શું તે મારા આચરણ નથી જોતા? અને મારા બધાં પગલાં નથી ગણતા?

5 જો મેં કપટ ભરેલો આચાર કર્યો હોય, અથવા જો મારો પગ કોઇને છેતરવા તરફ વળ્યો હોય;

6 જો દેવ ચોક્કસ માપનું ત્રાજવું ઊપયોગમાં લે તો તેને જાણ થશે કે હું નિદોર્ષ છું.

7 જો હું સત્યના માર્ગથી પાછો ફર્યો હોઉં, મારી આંખોએ મારા હૃદયને અનિષ્ટ કરવા દીધું હોય અથવા તો જો મેં બીજા કોઇની નાની વસ્તુ પણ આંચકી લીધી હોય, તો દેવને જાણ થઇ જશે.

8 તો મારું વાવેલું અનાજ બીજાઓ ખાય અને મારા ઉગાવેલા છોડ ઊખેડી નાખવાનું યોગ્ય જ હશે.

9 જો મારું મન કોઇ સ્ત્રી ઉપર લોભાયું હોય, જો મેં મારા પાડોશીના બારણે તેની પત્ની સાથે વ્યભિચાર કરવાની રાહ જોઇ હોય.

10 તો ભલે મારી પત્ની બીજા પુરુષ માટે રસોઇ કરે. અને ભલે બીજા પુરુષની થઇ જાય.

11 કારણકે જાતીય પાપ એ શરમજનક પાપ છે. એ તો ભયંકર શિક્ષાને પાત્ર છે.

12 તે તો એક અગ્નિ છે જે તમામ વસ્તુઓને સળગાવી નાખે છે. મેં જે કાઇ વાવ્યું છે તેને તે ઉખાડી શકે તેમ છે.

13 મેં મારા કર્મચારીઓનો હક કદી ડૂબાડી દીધો નથી.

14 મેં જો એમ કર્યુ હોય તો જ્યારે દેવ મારી સામે આવીને ઊભા રહેશે તો હું શું કરીશ? જ્યારે તે પૂછશે મેં શું કર્યું, તો મારે શું કહેવું જોઇએ?

15 કારણકે જે દેવે મને સજ્ર્યો છે તેણે જ મારાં નોકરચાકરોને ર્સજ્યા છે અ મને માતાઓના ગર્ભની અંદર દેવે અ મને સૌને આકાર આપ્યા છે.

16 મેં ગરીબોને કશું આપ્યું ન હોય તેવું કદી બન્યું નથી અને વિધવાઓને મેં કદી રડાવી નથી.

17 અનાથો ભૂખ્યા હોય ત્યારે મેં એકલપેટાની જેમ કદી ખાધું નથી.

18 હું જુવાન હતો ત્યારથી મેં એમના પિતાની જેમ એમની સંભાળ લીધી છે અને વિધવાઓને તો મેં પહેલેથી જ મદદ કરી છે.

19 અને કોઇને ઠંડીથી થરથરતા અથવા તો એક ગરીબ માણસને ડગલા વગરનો જોયો હોય.

20 મેં હમેશા તેઓને કપડાં આપ્યા તેઓને હૂંફાળા કરવા મેં મારા પોતાના ઘેટાંઓનું ઊન આપ્યું અને તેઓએ મને હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યા.

21 મેં એક અનાથ મદદ માગવા માટે તે જ્યારે દરવાજા પર આવ્યો હોય ત્યારે હાથ ઉઠાવ્યો હોય.

22 જો મેં આવું કશું કર્યુ હોય તો મારો હાથ તોડી નાંખવામાં આવે અને તેને ખભામાંથી ખેંચી કાઢવામાં આવે!

23 પણ મેં કાંઇ ખોટુ કર્યુ નથી. હું દેવની શિક્ષાથી ડરું છું. તેની મહાનતા મને ડરાવે છે.

24 મેં મારી ધનસંપત્તિ પર કદી આધાર રાખ્યો નથી, અને હંમેશા મદદ કરવા માટે મને દેવમાં વિશ્વાસ હતો. મેં કદી કહ્યું નથી કે શુદ્ધ સ્વર્ણ, ‘તુંજ મારી એકમાત્ર આશા છે.’

25 હું ધનવાન છું પણ તેથી હું અભિમાની નથી. હું ખૂબ પૈસા કમાયો. પણ તે એકજ એવી વસ્તુ નથી જેનાથી હું સુખી થયો.

26 મેં તેજસ્વી સૂર્ય કે સુંદર ચંદ્રની પૂજા કરી નથી.

27 હું સૂર્ય અને ચંદ્રની પૂજા કરું એવો મૂર્ખ ન હતો.

28 તે પણ એક પાપ છે જેની સજા થવીજ જોઇએ. જો મેં એવી કોઇપણ વસ્તુની ઉપાસના કરી હોય તો હું દેવને વિશ્વાસુ રહ્યો હોઇશ નહિ.

29 હું મારા શત્રુના દુ:ખે કદી ખુશ થયો નથી. તેઓની મુશ્કેલીમાં મેં કદી હાંસી નથી ઉડાવી.

30 મે મારા મુખને મારા દુશ્મનોને શાપ આપવાનું અને તેઓ મરી જાય તેમ ઇચ્છવાનું પાપ કદી કરવા દીધું નથી.

31 મારા ઘરમાં દરેક જણ જાણે છે કે મેં અજાણ્યાને કાયમ ખાવાનું આપ્યું છે.

32 પરદેશીને માર્ગમાં ઉતારો કરવો પડતો નહોતો; પણ મુસાફરને માટે મારાઁ બારણાં હંમેશા ઉઘાડાં હતાં.

33 જો આદમની જેમ મેં મારાં પાપ સંતાડ્યાં હોય,

34 લોકો કદાચ શું કહેશે એવો મને કદી ડર લાગ્યો નથી. ડરે મને કદી ચૂપ રહેવા દીધો નથી. એણે મને કદી બહાર જતા રોક્યો નથી. લોકોના મારા પરના ધિક્કારથી હું ડરતો નથી.

35 અરે હું ઇચ્છું છું, મને કોઇ સાંભળતું હોત! મને મારી બાજુ સમજાવવા દો. હું ઇચ્છું છું કે સર્વસમર્થ દેવ મને જવાબ આપે. હું ઇચ્છું છું કે તેને જે લાગે મેં ખોટું કર્યુ છે તો તે લખી નાખે.

36 તો હું એને મારે ખભે લટકાવીશ. હું રાજમુગટની જેમ તેને પહેરીશ.

37 મારા એકેએક પગલાનો અહેવાલ તેને આપીશ. હું મારું માથું ઊચુ રાખીને એની સામે ઊભો રહીશ.

38 મેં મારી જમીન કોઇ પાસેથી ચોરી નથી, કોઇપણ મને તેની ચોરી માટે દોષિત ઠરાવી શકે તેમ નથી.

39 મેં હંમેશા ખેડૂતોને તેના ખોરાક માટે પૈસા ચૂકવ્યા, જે મને આ જમીનમાંથી મળ્યા. મેં કદી બીજા માણસની જમીન તેને મારી નાખીને ઝૂંટવવાની કોશિષ કરી નથી.

40 જો મેં કોઇ આવી ખરાબ બાબત કરી હોય તો એવું થજો કે મારી જમીનમાં ઘંઉ અને જવને બદલે કાંટા અને ખડ ઉગે!” અયૂબનું નિવેદન પૂરું થયું.